સ્વ. મહેશભાઇ પતંગેને શાબ્દીક શ્રદ્ધાસુમન
આદરણીય મહેશભાઈ પતંગે: એક મૌન તપસ્વી અને કર્મયોગીને ભાવાંજલિ ચિંતનભાઈ ઉપાધ્યાયનો ફોન આવ્યો કે, "મહેશભાઈ પતંગે આપણી વચ્ચેથી વિદાય લીધી છે." આ સાંભળીને ક્ષણભર તો માનવામાં જ ન આવ્યું; કારણ કે હજી ત્રણ દિવસ પહેલાં જ એક કૌટુંબિક વિષય પર તેમની સાથે વિગતવાર વાત થઈ હતી. પરંતુ કુદરતની ગતિ ખરેખર અકળ હોય છે. કદાચ વિધાતાની પણ એવી કોઈ યોજના હશે કે અહીંનું પ્રયોજન પૂરું થતાં જ, સમાજ માટે અનિવાર્ય એવી દિવ્ય વિભૂતિઓને અન્ય દિવ્ય કાર્યો માટે પોતાની પાસે બોલાવી લે છે. મહેશભાઈ પતંગેની જીવન-ઝરમર તરફ દ્રષ્ટિપાત કરીએ ત્યારે પ્રતીતિ થાય કે, પરમ પૂજનીય ડૉ. હેડગેવારજીએ સ્થાપેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં એક સામાન્ય દેખાતી વ્યક્તિ પણ કેવાં અસામાન્ય કાર્યો કરી શકે છે! પુણ્યભૂમિ પુણેથી જ જેમણે સંઘકાર્યના શ્રીગણેશ કર્યા હતા, તે જ ધરતી પરથી તેમણે અંતિમ વિદાય લીધી, એ પણ કુદરતનો કોઈ અદ્ભુત સંકેત જ હશે. પુણે નગરી એટલે સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સ્વાતંત્ર્ય સંગ્રામની પાવન ભૂમિ—લોકમાન્ય તિલકથી લઈને વીર સાવરકર સુધીના ક્રાંતિવીરોની કર્મભૂમિ. નાગપુર પછી મહારાષ્ટ્રમાં સંઘકાર્યનું જે મુખ્ય કેન્દ્ર બન્યું, તે પુણેની ધ...